ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ? નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા બંધ બારીબારણાં. સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ? ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ? વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર, આપણું તો કામ નહીં. લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ? ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ? રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ, બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ. સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ માણસને માણસની આટલી બધી સૂગ ! ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ : વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં. સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન, નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ. કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ? ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ? |