Friday, October 17, 2008

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે.

છે પગ તળે પથ્થર તરફ લઇ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઇ નીકળેલ છે.

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
- એવું અમે તો સંત વિષે સાંભળેલ છે.

ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

જે કહેતું’તું - કરીશ તારા જીવમાં મુકામ
એ પંખી એનો વાયદો ભૂલી ગયેલ છે.

પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !.