Tuesday, March 3, 2009

ડગલેપગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો;
કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો;
જે દિવસ હું કોઈની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર ?
હું વિનાવાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઈ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઈમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પુરાયો હતો.