Wednesday, October 22, 2008

મારે કવિતા લખવી નથી.
મારે તો લખવો છે કાગળ
-સરનામા વિનાનો,
મારા નામ વિનાનો !
તું યાદ આવે છે એટલે
હું કાગળ લખતો નથી.
હું કશુંક ભૂલવા માંગુ છું
એટલે કાગળ લખું છું.

Friday, October 17, 2008

એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં
દુઃખમાં હ્રદયને રાખો,રાખો ન દુઃખ હ્રદયમાં.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં
એ રહી ગયા શરમમાં,હું રહી ગયો વિનયમાં

જેમાં થતાં પરાજય આવે ન લાજ કોઈ
એમાં વિજય મળે તો રાચી ઊઠો વિજયમાં

દેવાને રાહ તમને સઘળાં ખસી ગયા છે
આવો હવે તો આવો મારા બુરા સમયમાં!!

માનવની ચડતી-પડતી ખુદમાં જ ઉદભવે છે
પડતી નથી જરૂરત અંતરની અસ્તોદયમાં

દિવસના હો અમલ તો જીવન 'મરીઝ'પલટે
જે યોજના કરું છું રાતે મદિરાલય માં..

દર્દ રાખે છે દિલ બધા માટે,
એ સજા છે કવિ થવા માટે.

યાદ માં તારી કે ગુનાહો માં,
કંઈક ઈચ્છું છું ડૂબવા માટે.

દિલ ઊઠી જાય છે એ દુનિયાથી,
હાથ ઊઠતા નથી દુઆ માટે.

કંઈક એ રીતથી ફના થઈએ,
કંઈ ન બાકી રહે ખુદા માટે.

એ શહીદોથી કમ નથી હોતા,
જે જીવી જાય છે ખુદા માટે.

જિંદગી ભીડમાં હતી કિંતુ,
રાહ કરવી પડી કઝા માટે.

જો કવિતા નહીં લખો તો 'મરીઝ'
કોણ બોલાવશે નશા માટે ..?

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે.

છે પગ તળે પથ્થર તરફ લઇ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઇ નીકળેલ છે.

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
- એવું અમે તો સંત વિષે સાંભળેલ છે.

ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

જે કહેતું’તું - કરીશ તારા જીવમાં મુકામ
એ પંખી એનો વાયદો ભૂલી ગયેલ છે.

પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !.